मा विद्विषावहै
દ્વિવચન અને मा विद्विषावहै !
હું અને અમે -આપણે-
તો વ્યવહારમાં પ્રચલિત છે પણ
આ દ્વિવચન - એ સંસ્કૃતમાં શીખ્યા
અને જ્યારે જ્યારે, જ્યાં જ્યાં , દ્વિવચન જોઉં
ત્યાં ત્યાં ઉપનિષદ યાદ આવે.
આવ, મારી પાસે આવી બેસ અને આપણે ભણીએ, શીખીએ, આત્મજ્ઞાન.
Dialogue between the Two..
મોનોલોગ- ફકત ભાષણ નહિ પણ
ડાયલોગ-બે વચ્ચેનો સંવાદ-અને
સંવાદ ને સંવાદ જ માત્ર, વિતંડાવાદ નહિ.
ચર્ચા ખરી પણ જેનું પરિણામ આવી શકે તેવી ચર્ચા.
આ બધું શરું કરતા પહેલા એક "વીશ" કરવામાં આવે છે, મનમાં એક ભાવના પેદા થાય છે- એ શાંતિમંત્ર - ઉપનિષદ - શીખવાનું ચાલું કરતા પહેલા inaugural મંત્ર.
આ મંત્ર કઠ, તૈતરિય અને શ્વેતશ્વેતર ઉપનિષદમાં આવે છે.
અહીં બે જ જણની વાત છે એટલે સ્વભાવિક જ આખા મંત્રમાં દ્વિવચન નો ઉપયોગ છે.
ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
-
અહીં -"સહ નૌ" માટે આ શુભેચ્છા છે. નૌ એટલે અમે બે- સહ - સાથે...
આ આખો મંત્ર અમારા બંનેના કલ્યાણ માટે છે.
આ બે કોણ?
" નૌ" એટલે કોઈ પણ બે-
ગુરુ શિષ્ય- બે મિત્રો, પતિ પત્ની, પિતા પુત્ર...
ભલે એક જરા વધારે જ્ઞાની હોય પણ એ એવું નથી કહેતો કે મારું તો કલ્યાણ થઈ જ ગયું છે- હું આ બધું તારા માટે કરું છું, ના, એવું નહિ, આવ બેસ મારી પાસે,
આપણા બે ય માટે આપણે સારી ભાવના કરી પછી શીખીએ.
-
સહ ના વવતુ- ખરેખર સંધિ છૂટી પડે તો-
સહ નૌ અવતુ
અવતુ એટલે રક્ષણ કરો, રક્ષણ થાય.
અમે બે અહીં " આરણ્યક" થઈ અરણ્યમાં બેઠા તો છીએ પણ અમારું રક્ષણ થાય- જીવજંતુ, ટાઢ તડકો, ખરાબ વિચારો, ચંચળતા- જે પણ અભ્યાસમાં વિઘ્ન કર્તા હોય તે બધાથી " અમારા બે ય" નું રક્ષણ થાય.
-
સહ નૌ ભુનક્તુ
અહીં ભુનક્તુ નો સાધારણ અર્થ પોષણ થાય, અમારા બે ય નું પાલન થાય, અમે જે કાર્ય માટે બેઠા છીએ એને માટે અમને શકતિ મળે.
-
સહ વીર્યં કરવાવહૈ
અમે બંને સાથે આ જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરીએ. કારણ આ સંવાદ છે, અને સંવાદમાં શીખનાર તો શીખે જ છે પણ શીખવનારે ય શીખે છે. કોઈ મનની વાત/ મુંઝવણ જયારે બીજા પાસે બોલાય તો આપણે એને " Loud Thinking" કહીએ- અને ઘણીવાર બોલનારના મનમાં જે દ્વિધા હોય તે મોટેથી ફકત બીજાને કહેતા કહેતા જ સ્પષ્ટ થઈ જાય. એટલે નહિ કોઈ ઉચ્ચ સ્થાને ન કોઈ નીચા પગથિયે,
ચાલ, આપણે બેઉ શીખીએ.
-
તેજસ્વિનાવધીતમસ્તુ
તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ,
જે પણ આપણે શીખીએ, એ બધું " તેજસ્વી" - સ્પષ્ટ થાય, કોઈ ગૂંચવાડો ન રહે, ફકત શબ્દોની માયાજાળ ન રહે, અર્થપૂર્ણ બને.
-
મા વિદ્વિષાવહૈ
આ મને ખૂબ ગમે છે. બે જણ સાથે રહે છે, વિચારવિમર્શ કરે છે એમાં એકબીજાનો દ્વેષ થવાની પૂરી સંભાવના છે.
દ્વેષ થાય તો " ઉપનિષદ" ન થાય.
મંત્રમાં કહે છે, અમારો સંવાદ જળવાઈ રહે, misunderstanding ન થાય, હૂંસાતૂંસી ન થાય, વિતંડાવાદ ન થાય.
આપણને એમ થાય કે આવા ઉપનિષદનો અભ્યાસ કરનાર વચ્ચે ય દ્વેષ થતો હશે? પણ, જેમ જ્ઞાન વધે તેમ " હું" મોટો થાય અને એકબીજાના " હું" ટકરાય.
દ્વેષને કારણે જ વ્યકિતઓ એક બીજાથી દૂર રહેવા પ્રેરાય છે. અને નીકટ આવતાં જ વિખવાદ શરૂ થાય છે.
અમે એક બીજાનો દ્વેષ ન કરીએ અને હળી મળીને કર્મો કરતા રહીએ એવી શકિત મળે. પરંતુ આવા વર્તનની અપેક્ષા તો જ રાખી શકાય જયારે આપણે આપણું શીખેલું અને અનુભવેલું બધું જ મન અને બુદ્ધિથી પચાવીએ. જે કાંઇ શીખીએ તેનો વિચાર અને વિવેકથી ઉપયોગ કરીએ.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અમને જે વાત/ વસ્તુ/ વ્યકતિ/ બનાવ/ ઉપાધિ/ રોગ થી અશાંતિ થાય એવું હોય તો એ બધાથી પર જઈ અમે બે ય શાંત રહી શકીએ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો